એ.એલ. સૈયદ (૧૯૦૪-૧૯૯૧)
ગુજરાતની ધરતીનો કોક-કોક ખૂણો એવો નિપજાઉ અને કસદાર છે કે જેમાંથી પાણીદાર મોતી જ પાકતા હોય છે. ઉત્તર ગુજરાતમાં આવી ધીંગી ધરા એટલે નવાબીકાળનો ભૂતકાળ વાગોળતું અત્તર અને શાયરોનું શહેર 'પાલનપુર', કેળવાયેલું, સંસ્કારી, સાહિત્ય પ્રેમી, ખુશનુમા મિજાજનું શહેર પાલનપુર. આ શહેરે કાંઈ કેટલાય રત્નો ગુજરાતને અને ભારત દેશને ભેટ ધર્યા છે. જેવાકે શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, ભાઈખાનભાઈ બલોચ, રફીકમીયાં કાદરી, ક્રિકેટર જાવેદ મિયાં દાદ (પાકિસ્તાન),ફખરુદ્દીન ખોરાકીવાલા., એફ. એ. કાદરી, ડૉ. ઈદ્રિસ, ચંદ્રકાંત બક્ષી, એફ. એમ.કાદરી વગેરે.
નવાબ શેર મોહંમદખાનજીના નવાબી કાળમાં પાલનપુરથી ૧૫ કિ.મી. દૂર આવેલ વરણાવાડા ગામમાં પાલનપુર સ્ટેટના નવાબી હકીમ સૈયદ લાલમિયાંને ત્યાં ર ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ પુત્રનો જન્મ થાય છે. જેનું નામ રાખવામાં આવે છે આબીદ અલી. જેમણે ફોટોગ્રાફી કલા દ્વારા વિશ્વભરમાં પાલનપુરનું નામ રોશન કરેલ તેજ એ.એલ. સૈયદ ફોટોગ્રાફર તરીકે ખ્યાતિ પામ્યા.
પિતા લાલમિયાંની ખ્વાહિશ હતી કે આબિદઅલી હકીમ (ડોકટર-વૈદ) થાય. પરંતુ એમના મોટાભાઈ કે. એલ. સૈયદના સહવાસમાં રહેવાથી ફોટોગ્રાફર બની ગયા.તે સમયે તેઓ પહેલેથી જ તેમના મોટા ભાઈ કે.એલ. સૈયદ સાથે કામ કરી રહ્યા હતા. જેઓ એક જાણીતા ફ્રીલાન્સ અને પાલનપુરમાં સત્તાવાર કોર્ટ ફોટોગ્રાફર હતા. પરંતુ તેમના ભાઈથી વિપરીત, એ.એલ. પોટ્રેટથી આગળ વધી ગયા, અને ૧૯૩૪માં લેવાયેલા તેમના પ્રખ્યાત ફોટોગ્રાફ ‘ટ્રાવેલર ઓફ ધ ઈસ્ટ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને ઓધન પ્રેસ હોમ લાઇબ્રેરી શ્રેણીમાં વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સમાંના એક તરીકે પ્રકાશિત કરવામાં આવી. ત્યારથી તે ૪૦ થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનો એક ભાગ છે અને ૧૯૩૫માં વાર્ષિક પોપ્યુલર ફોટોગ્રાફી એવોર્ડના વિજેતા છે, અને બાદમાં યુએસએમાં પ્રખ્યાત હચિન્સન કલેક્શનનો ભાગ બન્યો.
પહેલવહેલા ૧૯૨૩ માં શ્રી સૈયદ મુંબઈની શાળાની મુલાકાત લે છે,જે મુલાકાત તેમના જીવનને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સફરમાં, તેમણે ચૌપાટી પર સૂર્યાસ્ત સમયે ક્લિક કરેલા ફોટોગ્રાફે 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયાઝ સ્નેપ શૉટ' સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીતે છે. પછીના પાંચ દાયકાઓ સુધી, તેમના ફોટોગ્રાફ્સ નિયમિતપણે સાપ્તાહિકના પૃષ્ઠો પર નિયમિત આવતા રહે છે.કલાની વીશાળ દ્રષ્ટિ, આગવી કોઠા સૂઝ તેમજ છાયાને પ્રકાશનું સંયોજન કરવાની હથોટી. ફોટોગ્રાફી કલાની પાછળ લગનથી લાગી જઈને આબિદભાઈએ ફોટોગ્રાફી કલા ક્ષેત્રે અદ્ભુત તસવીરો લઈને અનેક ઈનામો મેળવ્યા. તેમજ દેશભરના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના અનેક મેગેઝીનોમાં એમની તસવીરો વર્ષો સુધી પ્રગટ થતી રહી.
૧૯૨૫ માં, જાણીતા કલાકાર રવિશંકર રાવળ દ્વારા સંપાદિત ગુજરાતી સામયિક કુમારમાં તેમની છબીઓ સૌપ્રથમ આવવાની શરૂ થઈ, અને ૧૯૪૦ માં પ્રકાશન બંધ થયું ત્યાં સુધી તેઓ ફોટાઓ અને વિશેષ લેખો સાથે નિયમિત યોગદાનકર્તા રહ્યા હતા.
બોલીવુડમાં પાલનપુરનો ડંકો વગાડનાર આ કસબી એટલે સ્વ. એ. એલ. સૈયદ બાલ્યાવસ્થામાં પાલનપુરથી આરંભાયેલ છબીકલાના છબછબીયાં બોલીવુડ સુધી પહોંચ્યા હતા. ફિલ્મ ક્ષેત્રે કે. આસિફની ઐતિહાસિક ફિલ્મ 'મોગલે આઝમ'માં સ્પેશીયલ સ્ટીલ ફોટોગ્રાફર તરીકે કામ કરી તેમણે સારી એવી નામના મેળવી હતી. અભિનેતા દિલીપકુમાર-સાયરાબાનુંના લગ્ન પ્રસંગની ફોટોગ્રાફી પણ શ્રી સૈયદના હસ્તે કંડારાઈ હતી.મુંબઈની ઘણી મહાન હસ્તીઓ સાથે તેમને ઘરોબો હતો.
૧૯૭૭માં વિશ્વભરના વિખ્યાત ફોટોગ્રાફરની ૨૫૦૦ જેટલી તસવીરોનું પ્રદર્શન યુનેસ્કો (ACCU) ફોટો કોન્ટેસ્ટ માટેના એશિયા પેસિફિક કલ્ચરલ સેન્ટરમાં ૧૫ એશિયન પેસિફિક દેશોનું જાપાનના ટોકીયો શહેરમાં યોજવામાં આવેલ, તેમાં શ્રી સૈયદે પાડેલ 'જેસલમેરના રણ' ની તસવીરને શ્રેષ્ઠ ઈનામ પ્રાપ્ત થયું હતું. ફોટોગ્રાફી કલા ક્ષેત્રે પાલનપુરનું નામ વિશ્વભરમાં રોશન કરનાર ફોટોગ્રાફી કલાના કસબી મર્હુમ એ. એલ. સૈયદના જન્મને ૧૦૦ વર્ષ પુરા થતાં પાલનપુરના કદરદાન નાગરિકોએ તા. ૧૦ એપ્રીલ ૨૦૦૪ના રોજ તેમની 'જન્મ શતાબ્દિ' ઉજવેલ. મહેન્દ્ર બ્રધર્સ મુંબઈના સહયોગથી શહેરના આશીર્વાદ હોલમાં ભવ્ય કાર્યક્રમ અને પ્રદર્શન યોજવામાં આવેલ. આ વખતે શ્રી સૈયદના ચુનંદા ફોટોગ્રાફોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનો બે દિવસ સુધી પાલનપુરના શહેરીજનોએ લાભ લીધો હતો. પાલનપુરના વતની હીરાબજારની અગ્રગણ્ય પેઢી મહેન્દ્ર બ્રધર્સ પાલનપુરના આ મહાન સપૂત કલાકારના અમર વારસાને ચિરંજીવી રાખવા માટે આ કાર્યક્રમને સ્પોન્સર કરી કલાની કદર કરી હતી.
પાલનપુરના નવાબજાદા શ્રી મુઝફફર મુહંમદખાનની ઉપસ્થિતિમાં આ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી સૈયદના માનમાં પ્રસંગને અનુરૂપ સોવેનિયર પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી કાઉન્સીલના પ્રેસિડન્ટ શ્રી ઓ. પી. શર્માએ શ્રી સૈયદને દિમાગથી ફોટોગ્રાફી કરનાર તરીકે બિરદાવ્યા હતા.
કેમેરા સોસાયટી, દિલ્હી દ્વારા આયોજિત ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફીના છઠ્ઠા સંમેલન એવા તેમના અનેક વન-મેન શોમાંથી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ વી.વી. ગિરી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા દ્વારા તેની શતાબ્દીની ઉજવણી નિમિત્તે આયોજિત ફોટોગ્રાફિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવાનું સન્માન પણ તેમને મળ્યું હતું. પાછળથી ૧૯૮૩ માં, તેઓ ફોટોગ્રાફીની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન અને સેવા માટે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલનું સર્વોચ્ચ સન્માન, માનદ ફેલોશિપ મેળવનારા વિશ્વના ૧૦ પ્રતિષ્ઠિત ફોટોગ્રાફરોમાંના એક બન્યા હતા.
આબિદ મિયાં લાલ મિયાં સૈયદના ૯૩ માસ્ટરલી ડ્યુઓટોન ફોટોગ્રાફ્સનો સંગ્રહ 'વિઝન ફ્રોમ ધ ઈનર આઈ : ફોટોગ્રાફીક આર્ટ ઓફ એ.એલ.સૈયદ'
પુસ્તક સ્વરૂપે પ્રકાશિત એ તેમને આદર અંજલિ છે અને તેના કામની યોગ્ય પસંદગી છે. ૭૦ વર્ષની કારકિર્દીમાં, તેઓ કદાચ વીસમી સદીની ભારતીય ફોટોગ્રાફીની દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા.
એ. એલ. સૈયદ ફોટોગ્રાફર કરતાં પણ વધુ વિશેષ વ્યક્તિત્વ હતું; તેઓ એક માસ્ટર આર્ટિસ્ટ હતા, જેઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે ભારતમાં અને વિદેશમાં ખૂબ માન પામ્યા હતા. દેશભરમાં રોજિંદા જીવનની નોંધપાત્ર છબીઓ લેવામાં અને ઉત્કૃષ્ટ પોટ્રેટ બનાવવાની તેમની કુશળતાએ ૩૦ ઓગસ્ટ, ૧૯૯૧ ના રોજ તેમના અવસાન થયા પછી તેમના કાર્યને લાંબા સમય સુધી જીવંત રાખ્યું છે.
સાભાર : ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો ભાગ - ૧,પાલનપુર ઓનલાઇન પોર્ટલ, વિઝન ફ્રોમ ધ ઈનર આઈ : ફોટોગ્રાફીક આર્ટ ઓફ એ.એલ.સૈયદ
- હિદાયત પરમાર


0 Comments
Thank you for visiting our blog and Comments.