મારુ બાળપણનું વણોદ



ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકા નું એ છેવાડાનું ગામ....
વેકેશન ના એ દિવસો હરિફરી ને વણોદ મારા ફોઈ ના ઘરે જવાનું,
ફોઈના દીકરા રાજકુમાર કોલેજ માં રાજકોટ ભણતા અને એ વેકેશન માં ગામડે આવે એટલે હું પણ વણોદ જતો, ફૂટબોલ નો બોલ પગ માં રમાડે અને અમને કહે કે ઝુંટવી લો પણ ફૂટબોલ ના જબરા ખેલાડી અમને બોલને અડવા પણ ના દે,

એમનો એક બાગ ગામના ઓતરાદે ઝાંપે, એમાં આમલી ના ઘણા ઝાડ, પુષ્કળ પપૈયા પણ થાય આખા વણોદ માં એકજ સારી જગ્યા જ્યાં મનને શાંતી મળે ત્યાં બાગ ના એક ખૂણે બીબમાં ની દરગાહ(હે જી રે મારી નખ ના પરવાળા જેવી ચૂંદડી,)એ ભજન આ બીબમાં પર કવિઓએ લખ્યું,પણ કબર સામે નજર અનુસંધાન કરો તો રૂંવાડા ઉભા થઇ જાય એવો આજે પણ એ બીબમાં ની કબર નો તેજ,

સવારે ચા ભાખરી (થોડી પાતળી ભાખરી) નો નાશતો પતાવી ને ગામના ઉગમણા ઝાંપે બસ સ્ટેન્ડ એકજ જગ્યા જ્યાં ફરવા જાઓ, માંડ ત્રણ બસ આવે આખા દિવસ માં(એમાં એક ઉલ્લેખ ના કરું તો અન્યાય લેખાશે, બાર વાળી બસ એટલે રાત્રે બાર વાગ્યે વણોદ આવે અને સવારે સાડા પાંચે અમદાવાદ જવા નીકળી જાય,આ બસ એ ગામ મી લાઈફ લાઇન ગણાય ઘણી રજૂઆતો કરીને બસ ચાલુ તો કરાવી પણ મુસાફરો ના અભાવે બસ બંધ કરવાનો વારો આવ્યો ત્યારે એજ ગામના માજી રાજવી મરહુમ સમસુદ્દીન ખાનજી મલીક વિરમગામ ડેપો જઇ ને બસ બંધ કરવાનું કારણ જાણ્યું તો લોકલાગણી  કેવી હશે એ રજવાડાઓમાં? જાહેરાત કરી દીધી કે સાહેબ  જ્યાં સુધી બસ માં પૂરતા મુસાફરો મુસાફરી ના કરે ત્યાં સુધી આપના કોર્પોરેશન ને જે નુકશાન આવે તે હું સમસુદ્દીન ખાનજી પોતે મારા ખિસ્સા માંથી ભરપાઈ કરીશ, અને સાચો આંકડો ખબર નથી પરંતુ એમણે ઘણા સમય સુધી એ બસ ચાલુ રાખવા માટે ટિકિટો પોતાના ખિસ્સા ના પૈસે ખરીદેલી અને આજેય. એ વણોદ-અમદાવાદ બસ ચાલુ છે)

અને ત્યાં બસ સ્ટેન્ડ માંજ અંગ્રેજ ઇજનેરોએ બનાવેલો બોર(ટ્યૂબવેલ) વચ્ચે દીવાલ બન્ને બાજુ પંદરેક ચકલા પાછળ સ્ત્રી વિભાગ, ગરમ પાણી એવું કે ઘૂસતાં તો ચામડી બાળી દે, પણ ન્હાઓ એટલે શરીરમાં ફુર્તિ આવી જાય,
બસ સવાર પુરી સાડાદશે ઘરમાં ઘુસી જવું પડે,
છત માં મોટું ઝૂલણું એટલે જાડા કાપડામાંથી બનાવેલો પંખો, અંદર થોડી રેત ભરેલી અને દોરી થી ઝુલાવો એટલે ઠંડી હવા આવે, એ ઘરના વચલા મોટા ઓરડામાંથી નીકળવા તલપાપડ થઈ જઈએ, પણ ફોઈ થી બધા બઉ ડરે એટલે બહાર કોઈ ના નીકળે,

માંડ સાંજ પડે એટલે રમવા બહાર નીકળીએ, ઝાંપે જઈને બેસીએ સંધ્યા સમય થાય એટલે દરબાર ગઢ ના નાકે મલેક ભાઈ ની પાન ની દુકાન જે આજેય મોજુદ છે, તે દરબારો ની પેટ્રોમેક્સ મેઇન્ટેઇન કરતા,(ત્યાં સુધી વણોદ માં વીજળી આવી નહોતી) જાળવી ને એનું મેન્ટલ ખરી ના જાય એ રીતે બે પેટ્રોમેક્સ અમે લઈ આવતા, અને બહાર ચોખ્ખા ફળિયા માં ખાટલા ઢાળી દેતા પછી વાળું કરવા બેસતા, એવી છાસ ની કઢી મારા ત્યાં કોઈ દિવસ ના બની,
સુંદર શીતળ રાતમાં તારા બહુ સુંદર અને ચળકાટ વાળા દેખાતા કેમ કે અંધકાર ની ચાદર ઓઢી ને રાત આવતી, હવે એવી રાત નથી આવતી,
મને ખબર નઇ કે ત્યાં વણોદ માં શુ હતું પણ ગમતું બહુ ગોઠતું બહુ, મિત્રો પણ ઘણા, જૂનું પુરાણું દરબાર ગઢ હતું અને બાજુ માં દરીખાનું અને એક પાયગા(ઘોડા બાંધવાની જગ્યા) જ્યાં ત્રાંબા પિત્તળ ના નખુચા બારીઓ ના આંકડીયા સળિયા એવું બધું હું અને મારા બાળપણ ના મિત્ર અમનભાઈ બઉ કાઢી લાવતા,
એક સ્નેહ હતો એ ગામ થી અતૂટ નાતો હતો આજે એ દરબાર ગઢ કે દરીખાનું કે પાયગા નથી પણ એના અવશેષો હજીય છે અને એ ગામ માટે સ્નેહ આજે પણ છે, ત્યાંના સોની કુટુંબ બહુ સધ્ધર અને મહેમાન પરોણાગત માં એ પાંચ ઘર ને કોઈ ના પોન્ચે, ધન્ય એ ત્યાંના રાજપૂત જાગીરદારો ને અને ત્યાંના લોકો ને,

આજે ફોઈ હયાત નથી બધાં અમદાવાદ રહેવા ચાલ્યા ગયાં ક્યારેક સારા નરસા પ્રસંગે એ મકાન ખુલે અને જવાનું થાય તો એ જૂની યાદો મન ને હલબલાવી નાખે.....

Post a Comment

0 Comments