Ad Code

"વણોદ ગામના વના ભગત" અને એમની "માતા વિહત"




"વણોદ ગામના વના ભગત"
અને એમની "માતા વિહત"
🏻"શાહભાઈ" મલીક દસાડા
વી.સં. ૨૦૭૪ ની જેઠ વદ દશમ થઈ અને હજી ખારાપાટ પરગણું મેઘરાજાની પધરામણીની ચાતક પક્ષીની જેમ રાહ જોઈ રહ્યું છે અત્યારે ઢોરાંને મોઢું મારે એટલું તો ખડ થઈ જવું જોઈએ અને ખેડૂત વાવણી પતાવી ઢૂંઢીયા હાંકવાની તૈયારી કરતો હોવો જોઈએ પણ કરમ જલ્યા અમારા મલકને કુદરત કાયમ એરણે ચડાવે,
એવી એક સાંજે દસાડાથી કડી જવાના રોડ માથે પંદરેક કીલોમીટર પર વણોદ જાગીરનું ગામ વીંઝૂવાડા(હાલ તાલુકો-માંડલ જી.અમદાવાદ) વસેલું અને હું ત્યાં મારું મોટરસાયકલ લઈને પહોંચ્યો,
એ દામોદરનાથજી ના મંદિરની અંદર પગ મૂક્યો અને સંધ્યા સમય થયો અને આરતીની ઝાલરું અને શંખ વાગવા માંડ્યા, ધૂપ અગરબત્તીના સુગંધિત વાતાવરણમાં મંદિરની સંધ્યા એકદમ ગુલાબી રંગે ખીલેલી હતી, એ તળાવની પાળ પર કેટલાય મોર અને ઢેલ રમી રહ્યા હતાં, વચ્ચે વચ્ચે કોઈ મોર આકાશ સામું જોઈને ગહેકાટ કરી નાખતો ત્યારે એની ગરદન ત્રણ જગ્યાએથી વળ ખાઈ જતી ત્યારે એવું લાગતું હતું કે એ પક્ષી એની સાંકેતિક ભાષામાં ધરાતલ પર રહેલા માનવો માટે વરસાદ વરસાવવા ભગવાનને અંગત ભલામણ કરતો હતો, એવાં એ અલૌકિક અને ખુશનુમા વાતાવરણનું હું બેસીને રસપાન કરી રહ્યો હતો, અને આવા સમયે મેલાઘેલા જર્જરિત અને ગરીબ માણસોની સાથે હું પણ ભક્તી ભાવથી રંગાયા વગર ના રહી શક્યો,
આજે વણોદ ગામે થઈ ગયેલ એક ભરવાડ સંત વના ભગત વિશે જાણવા ગયેલો અને એ આરતીથી પરવારી મહેશગીરી બાવાજી નોકરી ધંધેથી થાક્યાં પાક્યા આવેલા પણ મારા કુતૂહલ અને આગ્રહને વશ થઈ એમણે મારી માંગણી સ્વીકારી અને એ વના ભગતનો ભૂતકાળ રજૂ કરવા તૈયાર થયા મંદિરના પટાંગણમાં અમે બન્ને ખાટલા ઢાળીને બેઠા,
ગરમાગરમ ચા આવી અને ચાની ચુસ્કી લેતાં મહેશગીરી ના મોઢા પર અવનવા ભાવ આવી અને જતા રહેતા એ હું બરાબર નોંધ કરી રહ્યો હતો, સુકલકડી એકવડું શરીર રંગે રૂપાળા અને જાજરમાન ભવ્ય ચહેરો ધરાવતા એ બાવાજી પાસે લોકવાયકાઓનો ખજાનો સીનામાં ધરબાએલો હતો, અને એમના હૈયેથી હું ધીમેં ધીમેં બધું કઢાવતો હતો, દસાડામાં મોસાળ અને હું દસાડાનો ગીરાસદાર એમ બબ્બે નાતા ધરાવું એટલે બાવાજી મને નાં ન પાડી શકે અને આટલા વિસ્તારના લોક પણ ખૂબ સન્માન ખૂબ આપે,
એ વણોદ ગામે એક અખાડો હતો જેમાં આવતા જતા સંતો મહંતો ભજનીકો કથાકારો વાર્તાકારો રોકાણ કરતા, અને ચોમાસુ હોય ત્યારે એ સમયે તો નદી નાળા પર બ્રિજ કે ગરનાળા બનેલા નહીં તો પાણી ઉતરે નહીં ત્યાં સુધી ફરજીયાત રોકાવું પડતું,
એવા એ આજથી ચાર પેઢી પહેલાના સમયે એક અઘોરી અર્ધનગ્ન બાવાઓની જમાત વણોદ આવી અને ચોમાસાની ઋતુ શરુ થતી હોઇ એ અખાડામાં ચાતુર્માસ રોકાવાનું નક્કી કર્યું,
'વનો ભરવાડ'
એક સામાન્ય ઘરનો ઉગતો યુવાન જેમાં ભોળપણ વધારે અને સળંગ કોઠાનો એ જણ અખાડામાં વધારે રહેતો, એ સમય ઢોરની સંખ્યા વિશેષ અને દૂધ પુષ્કળ થાય અને એ વનો અખાડામાં રોકાયેલ મહેમાનોને દૂધ મફત પૂરું પાડતો, અને આ બાવાઓની જમાત આવી ત્યારથી એને તો વાતનો વિસામો મળી ગયો અને આખો દિવસ એ અખાડામાજ રહેવા લાગ્યો સેવાચાકરી કરવા લાગ્યો અને એ બાવાઓતો ફક્કડ હતાં એમની પાસે પૈસા કે એવું કંઈ હોય નહીં, ચલમમાં ભરવા ગાંજો ના હોય તો વના ને કહે કે બેટા કુછ લાદે,
પેલા ઉધાર અને પછી ઉધાર મળવાનું બંધ થઈ ગયું એટલે કાનમાં સોનાના દાગીના પહેરેલા એ વેચી માર્યા પણ બાવા જે માંગે એ વનો હાજર કરતો, ડોશી કંટાળી ગયેલા અને કોઈ કામ ધંધો ના કરે ઢોરા ચારવા ના જાય આવા જવાન દીકરાને શું ધોઈ પીવાનો? આમને આમ દિવાળી આવી ગઈ, અને બાવાઓની જમાતને નીકળવાનો સમય થઈ ગયો,
આ ચાર મહિના દરમ્યાન વનાને બાવાની જમાતનો હેડો થઈ ગયેલો અને થોડા દિવસમાં સાથ છૂટી જશેની વાત માત્રથી એ બેચેન થઈ જતો, અને બાવાઓ પણ બેચેન હતા આવી સેવા ચાકરી કોઈએ કરી હોય એવું ક્યારેય જોયેલું નહીં, અને હવે છુટા પડવાનો વખત આવી ગયો હતો, બાવાઓએ નક્કી કર્યું કે વનાને કઈંક આપવું અને એક દિવસ વનાને એ લોકોએ પૂછ્યું કે તે જે સેવા કરી છે એ અમારા જીવનમાં ક્યારેય કોઈએ કરેલી નથી અને અમો બધા તારા પર ખુશ છીએ,
વનો વિચારે ચડી ગયો કે શું માંગવું પણ કઈં સૂઝ્યું નહીં એટલે સવાર સુધીની મહેતલ માંગી, અને આખી રાત વિચાર કર્યો કે શું માંગવું ? પણ આતો બાવા હતા એમની પાસે આપવા માટે કંઈજ નહોતું, પણ વનાને એક ઝબકારો થયો કે એમની હારે હિમાલય ચાલ્યો જાઉં, પણ મને નહીં લઈ જાય તો? પછી એણે મગજથી કામ લીધું,
બીજે દિવસે સવારે એ અખાડે પહોંચ્યો દૂધ મૂકીને ગમગીન બેઠો, અને મોટા બાવા બોલ્યા બોલ બેટા તુને બહોત સેવા કરી હૈ તુજે ક્યા ચાહિયે અને વના ને જે મોકો જોઈતો હતો તે મળી ગયો અન કહ્યું કે તમે નહીં આપી શકો અને આમ એણે વાતને આડે પાટે ચડાવી અને એનો મૂળ હેતુ બાવાઓને બાંધવાનો હતો કે વાતમાંથી ફરી ના જાય અરે બોલ બેટા તું એકબાર કહે કે દેખ લે, અને ધીમેથી વનાએ કહ્યું કે મને તમારી ભેળો લઈ જાવ,
અરે તેરી યે ક્યા માંગતા હે તું હમારે સાથ વોભી હિમાલય મેં કેસે રહેગા?
બાપુ હું રહી લઈશ બસ મને સંગાથ લઈ જાવ, અરે તેરે ઘર વાલે બોલેગે બાવા લોગ બચ્ચો કો ઉઠા ગયે તો હમ ક્યા જવાબ દેગે, ગમે એમ કરી જમાત વનાને લઈ જવા માંગતી નહોતી પણ એણે એમને બરોબર બંધવ્યા હતા આખરે એક છેલ્લું શસ્ત્ર બાવાઓએ વાપર્યું, જા તું એક કામ કર અપને ઘર વાલો કો પૂછ કે આજા, અને એમને એમ હતું કે ઘરવાળા કોઈ દિવસ જવાન છોકરો બાવાઓ જોડે જાય એ ચલાવી નહીં લે,
વનો ઘરે ગયો માં સુપડો લઈને અનાજ સાફ કરતી હતી, અને પેલાએ બહાર ફળિયામાંથીજ બૂમ મારી કે માં હું પેલા બાવાઓ જોડે જાઉં? અને માં પણ કંટાળેલી તે જવાબ ગુસ્સામાં આપી દીધો કે જા એમની હારે જતો રે અને બાવો થઈ જા,
અને આ ભાઈ તો રાજીના રેડ થઈ અખાડે આવ્યા મને રજા આપી દીધી, બાવાઓ પાસે હવે વનાને લઈ ગયા સિવાય કોઈ રસ્તો નહોતો અને બીજી સવારે પરોઢે એમણે એમના ઉચાળા ભર્યા, કેટલાય દિવસ અને મહિનાનો સફર થયો હશે અને એ જમાત પહાડીયોમાં પહોંચી, અને ઉપર ચડતા જાય બમ ભોલે બોલતા જાય, મથુરા કાશી વૃંદાવન હર કી પોડી અને તમામ ધાર્મિક સ્થળ જે કોઈ પણ ધાર્મિક માણસ એકવાર જોવાની દર્શન કરવાની તમન્ના રાખતો હોય એવા તમામ સ્થળોએ વનાએ દર્શન કરી લીધાં,
એને જીવન ધન્ય લાગવા માંડ્યું વણોદ કે આજુબાજુનો કોઈ લોકનો જણ પણ અહીં સુધી નહીં પહોંચ્યો હોય તો માલધારીતો ક્યાંથી પહોંચે, એવું વીચારી ભાવવિભોર થઈ જતો, અને એટલે જમાતની બમણી સેવા કરવા લાગ્યો, એ જમાત સામાન્ય લોકો જ્યાં સુધી જતાં એનાથી ઘણી વધારે ઉપર જતી રહી, કારણ એ હતું કે જ્યાં ઓક્સિજનની કમી હોય ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય અને જંગલી જાનવર ત્યાં જવાનું લગભગ ટાળે, એટલે ધર્મ ધ્યાનમાં લિન રહી શકાય,
ખાવાના ફાંફા વચ્ચે વનો એક દિવસ ધ્રૂજતો બેઠો હતો અને પેલા બાવાઓ તો ધ્યાનમાં બેસી જાય તો દિવસો સુધી હલતા પણ નહોતાં, બરદાસતની હદ વટી ગયા બાદ એણે નાની ઉંમરના બાવાને કે જે એની જોડે ખૂબ માયાળુ હતો એને ધ્યાનમાંથી જગાડીને ખાવાનું કહ્યું કે હવે ઉભું નથી રહેવાતું, મારો જીવ જતો રહેશે, ત્યારે પેલો બાવો એટલું બોલ્યા કે ઇતના તો તું ભી કર શકતા હે અબ તો તું ભી હમ મેં સે એક હૈ એમ કહી આંખો મીંચી દીધી,
અને એમ બીજા દિવસની સવાર પડી તરસ તો લાગેજ નહિ બરફના ઢગલા વચ્ચે એમનો મુકામ હતો, બાવાઓ થોડા હળવાશના મુડમાં હતા અને વનાને એમણે નીચે ગામમાં જઈ કઈંક લઈ આવવા મોકલ્યો, વનો રવાના થયો, એક વાઘ રાત પડે ને સતત હુંકતો હતો અને દીપડા પણ પુષ્કળ હતા એ જંગલ વચ્ચેથી વનાને ગામમાં જવાનું હતું, વણોદમાં તો કૂતરું હડકાયું થાય તોય ઘરની બહાર ના નીકળતો પણ અહીંતો વાઘ સાથે પનારો પડ્યો,
એ જ્યાંથી ઉતરતો હતો ત્યાં રસ્તામાંજ એ વાઘ એની નજરે પડ્યો પણ કોણ જાણે એણે એની તરફ ધ્યાન ના આપ્યું અને વાઘે પણ ધ્યાન ન આપ્યું આમ સાંજે એ બધી વસ્તુઓ લઈને ઉપર પહોંચ્યો ત્યારે પણ વાઘ બહુ નજીક ત્રાડો પાડતો હતો, અને એ ઉતારે પહોંચી ગયો અને સામાન મુક્યો, તુજે ડર નહીં લગા એવો સવાલ થયો અને હકીકતમાં એને ડર નહોતો લાગ્યો,
ત્યારે એ બાવાજી બોલ્યા કે તુઝે અબ જમાને કા ડર નહીં ઔર જો ખાના તું નિચે લેને ગયા વો તું યહાં સ્મરણ કર લેતા તો મિલ જાતા,
અને બાર વર્ષે જમાતને એવું લાગ્યું કે જે વિદ્યા એમની પાસે હતી એ લગભગ વના માં આવી ગઇ હતી એટલે હવે સંસારમાં પાછો મોકલવાની પેરવી શરૂ થઈ, અને જે રીતે બાવાની જમાતને બંધવીને એ સાથે થઈ ગયો હતો એજ યુકતી બાવાઓએ વાપરી, એને ગુરુ દક્ષિણા આપવાના બહાને વચને બાંધ્યો અને પછી કહ્યું કે તેરા ઘર જાને કા સમય હો ગયા હે તુજે જાના હોગા ઔર જાકર તુજે ઘર સંસાર બસાના હોગા,
અને એક દિવસ ભારે હૃદયે વનો હિમાલય છોડીને નીકળી ગયો અને ભટકતો ભટકતો બીજા એક વર્ષે વણોદ મુકામે પાછો ફર્યો, ખૂબ મોટી જટા અને દાઢી વધેલી હોઈ કોઈ એને ઓળખી ના શક્યું પણ એની માં એને ઓળખી ગઈ, એ તો એને મરેલો ધારતી હતી કારણ કે બે વર્ષ લાગલગાટ શોધખોળ કરીને થાકીને સમજી લિધેલું કે કઈંક અઘટિત ઘટેલું હોઈ શકે, અને વાર તહેવારે એની માં યાદ કરીને આસુંડા પાડી લેતી,
અને અચાનક એનો એકનો એક દિકરો આમ એની સામે આવીને ઉભો થઈ જાય એનાથી રુડું શું હોય, બાર તેર વર્ષે આમ વનાની મુલાકાત માં હારે થઈ, અને કુતૂહલવશ ગામ લોકો બધા જોવા આવે અને રાત્રે મોડા સુધી ડાયરો ભરાય, ખેર ની શાખનું એક ખોરડું એટલે મેવાડા ટીખળ કરે અને થોડી મશ્કરી કરે,
એક દિવસ રાત્રે બધા "વિહત માતા" ના મઢની સામે બેઠા હતાં અને વનાની પરીક્ષા લેવી એવું નક્કી થઈ ગયું કે બાર વરસ હેમાળો ગાળી ને આયવો જણ તો કેવો પરાક્રમી થઈ જાય, અને એ ડાયરાએ અડધી રાતે પાકા સફરજન માંગ્યા, વનો કે અલ્યા આ વણોદ ગામડું દાડે સફરજન ના મળે તો રાતે કાં થી મળે, પણ ડાયરાએ જીદ પકડી અને વનાએ આંખો બંધ કરીને જાણે કોઈની સાથે વાત કરતો હોય એમ ધ્યાનમગ્ન બેઠો અને અચાનક દરવાજામાંથી સફરજનના ઝાડની ડાળખી અંદર આવી અને ઉપર ઢગલો લાલ ચટક સફરજન ચોંટેલા, એ અલ્યા તોડી લ્યો હાલ લગા, અને માણસોએ જેટલા તોડવા હતા એટલા તોડી લીધા પછી એ ડાળખી બારણા માંથી બહાર જતી રહી, અને ડાયરો પગે પડી ગયો, હે વના ભગત માફ કરી દયો હવે ક્યારેય મશ્કરી નહીં કરીએ.........(વધુ બે દિવસ પછી)
કથા વસ્તુ--કાળુ ભાઈ સવા ભાઈ ખેર
મુ વણોદ તા દસાડા(પાટડી) જી.સુરેન્દ્રનગર
સંવાદ--મહેશગીરી બાપુ વીંઝૂવાડા દામોદરનાથજી મંદિરના પૂજારી શ્રી.
લેખક-શાહનવાઝ મલીક "શાહભાઈ" મુ દસાડા જી.સુરેન્દ્રનગર પીન-૩૮૨૭૫૦


Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *